પશુપાલન

પશુપાલકોને મૂંઝવતા પશુપ્રજનનલક્ષી પ્રશ્નો અને તેનું નિરાકરણ  
પ્રશ્ન -૧ ગાય / ભેંસ ગરમીમાં આવે છે કે કેમ તે ખબર નથી પડતી ? 

જવાબ :ગાયની સરખામણીએ ભેંસમાં ગરમીના ચિન્હો બહુ ઓછા દેખાય છે જો ગરમી વિષે ખ્યાલ ના આવે તો ડોક્ટરની સલાહ લેવી .આવશ્યક છે અને જો ડોક્ટર હાજર ન હોય તો તારીખ નોંધી લેવી અને ફરીથી ૧૯ થી ૨૨ દિવસે લક્ષણો જોવા જેવાકે તેલની ધાર જેવી લાળી કરવી , ભાંભરવું ,બરાડવું , વારંવાર પેશાબ કરવો , યોનીનો ભાગ લાલાશ પડતો દેખાય , પશુ ડબકાય તો બીજદાન કરવું હિતાવહ છે .


 પ્રશ્ન -૨ ગાય / ભેંસ ગરમીમાં આવે પછી ક્યારે ગાભણ કરાવીએ ? 
જવાબ: ગાય / ભેંસ ૧૮ થી ૨૧ દિવસના અંતરાળ ગરમીમાં આવે છે અને ૨૪ કલાક સુધી ગરમીમાં રહે છે . ગાય / ભેંસને ગરમીના છેલ્લા ૧૨ કલાકમાં ગમે ત્યારે બીજદાન કરાવી શકો છો . એટલે ફે તમે સાંજે ગરમીના ચિન્હો જોયા હોય તો વહેલી સવારે બીજદાન કરાવો અને સવારે ગરમીના લક્ષણો નિહાળ્યા હોય તો સાંજે બીજદાના કરાવી શકો છો . એવીજરીતે ૧૨ કલાકની અંતરાળે બે વાર બીજદાન કરાવવું લાભદાયી છે . 

પ્રશ્ન -૩ ગાય / ભેંસને ફેળવ્યા પછી શું કાળજી રાખવી પડે ?
 
જવાબ: ગાય / ભેંસને બીજદાન કાર્ય પછી વધુ દુર સુધી ચલાવવી નહિ તેમજ મારઝૂડ કે પછી દોડાવવી નહિ , ફેળવ્યા પછી ભેંસને ઠંડુ પાણી પીવડાવવું અને પંદર દિવસ સુધી ઠંડા વાતાવરણમાં ( ઠંડી જગ્યાએ ) બાંધવી . આહારમાં લીલોચારો અને દાણમાં ૪૦-૫૦ ગ્રામ મિનરલ મિચર જરૂર આપવું . બીજદાન કરાવ્યાથી ૨૦-૨૨ દિવસ દરમ્યાન પશુ ઉપર ધ્યાન રાખવું કે ગરમીમાં તો નથી આવીને અને ૨ મહિના પછી પશુ ડોક્ટર પાસે ગર્ભનિદાન કરાવવું અતિ આવશ્યક છે . 


 પ્રશ્ન -૪ ગાય / ભેંસ ને મેલી નથી પડી તો શું બચ્ચાને ખીરું ,કરાયું ,ચીક પીવડાવી શકાય  કે નઈ ? 

જવાબ ;બચ્ચાને ખીરું પીવડાવવા માટે મેલી પડવાની રાહ ન જોવી જોઈએ . ભેંસના પાછળના ભાગની હુંફાળા પાણીથી સફાઈ કર્યા પછી અડધા કલાકની અંદર બચ્ચાને તેના વજનના દસ ટકા ( ૧૦૦ ) પ્રમાણે ખીરું ૩ થી ૪ ભાગમાં વહેંચીને પીવડાવવું જોઈએ , ખીરામાં એવા તત્વો રહેલા છે જે બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે . અને તેની સૌથી વધુ અસર ૩૦ મિનિટની અંદર જ હોય છે . બચ્ચાને દૂધ પીવડાવવાથી એવા અંતઃસ્ત્રાવો પેદા થાય છે જે મેલી પડવામાં મદદરૂપ થાય છે . 

પ્રશ્ન -૫ ભેંસ / ગાયમાં વિયાણ બાદ કેટલા સમયમાં મેલી પડવી જોઈએ ?

જવાબ: સામાન્ય રીતે વિયાણના ૨-૬ કલાકની અંદર મેલી પડી જતી હોય છે . પરંતુ જો ૧૨ કલાક સુધીમાં મેલી ન પડે તો આ પરિસ્થિતિમાં ૨૪ કલાક ની અંદર મેલી કાઢવા માટે પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ .


પ્રશ્ન -૬ ગાય / ભેંસમાં વેતરમાઆવ્યાના ચિહ્નોક્યા - ક્યા છે ? 

જવાબ: વેતરમાં આવેલી ગાય / ભેંસ શાંતિથી ઉભી હોય જેથી બીજા પશુ તેના પર ઠેકી શકે , વેતરમાં આવેલ ગાય / ભેંસ લગભગ એકબીજા સાથે ભેગા ઉભા રહેલા જોવા મળે છે . વેતરમાં આવેલ ગાય / ભેંસ અશાંત જોવા મળે , અન્ય પશુઓ જયારે બેઠા હોય ત્યારે વેતરમાં આવેલ પશુ ઉભું જ હોય , ચરાવવા માટે લઇ જઈએ ત્યારે પ્રતિકુળ સંજોગોમાં હોય તેમ વર્તે , યોનિમાર્ગ સુજેલો જોવા મળે , દુધમાં ડબકાઈ જાય , ભાંભરે , વેતરમાં આવેલ પશુ બીજા પશુની યોનીના ભાગે સુંઘે અથવા બીજા પશુનાં પૂંઠની ભાગે મોટું રાખી ઉભું રહે , પૂંછડી વારંવાર વીંઝયા કરે તથા વારંવાર પેશાબ કરેછે. 


પ્રશ્ન -૭ એકંદરે ઉનાળામાં ભેંસ વેતરમાં આવતી નથી શા કારણે ? 

જવાબ :ઉનાળામાં ગરમ આબોહવા , પ્રકાશના વધારે કલાકો , ઊંચું ઉષ્ણતામાન અને સુકા વાતાવરણ જેવા કારણોની અસર ભેંસોના આહાર લેવા પર પડે છે . તેની સીધી અસર પશુઓના વેતર પર જણાય છે . ઉનાળામાં ઋતુચકનો સમયગાળો લાંબો ( ૨૨-૨૪ દિવસ ) , ઋતુકાળનો ગાળો ઓછો ( ૧૬-૧૮ કલાક ) અને તેની તીવ્રતા ઓછી જોવા મળે છે . આના કારણે ભેંસ ક્યારે વેતરમાં આવી તે ખ્યાલ આવતો નથી .

 પ્રશ્ન -૮ ગાય / ભેંસો વારંવાર ઉથલા મારે છે તો શું કરવું ?

જવાબ:  વેતરે આવેલ ગાય / ભેંસોને ત્રણ કે ચાર વાર ફેળવ્યા છતાં જો તે ગાભણ ન થાય તો તેને ઉથલા મારતી ભેંસ કહેવાય , ઉથલા મારવાના કારણોમાં અંડકોષનું ફલિનીકરણ ન થવું , અથવા તો ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ ગર્ભનું મૃત્યુ થવું મુખ્ય છે . આ ઉપરાંત વિર્યદાન કરવા માટેનો અયોગ્ય સમય કે ખોટી રીતે થતું બીજદાન પણ કારણભૂત ગણી શકાય . પ્રજનનતંત્રમાં જીવાણુંઓના ચેપ લાગવાથી પણ ભેંસોમાં ગર્ભાવસ્થા ધારણ થતી નથી .

પ્રશ્ન -૯ ઉનાળામાં ભેંસોની પ્રજનન ક્ષમતા જાળવી રાખવા શું શું કરવું જોઈએ ? 

જવાબ . પશુને ઠંડી જગ્યાએ બાંધવા જોઈએ . પશુને પીવા માટે પાણી છૂટથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ . દિવસ દરમ્યાન ભેંસોને ચરાવવા લઇ જવી નહિ . પશુ રહેઠાણની આસપાસ વૃક્ષો વાવી પાણીનો છંટકાવ કરવો , ઉનાળામાં ભેંસોને સવાર અને સાંજના ઠંડા સમયે આહાર આપવો . લીલો ઘાસચારો વધુ અને પોષણયુક્ત આહાર આપવો જેથી ઋતુચક્ર અને ઋતુકાળ નિયમિત જળવાઈ રહે . રહેઠાણમાં પંખા , પાણીના ફુવારા અથવા કુલિંગ સિસ્ટમ ની વ્યવસ્થા કરવી .

(ડો . એમ . બી . રાજપૂત ડો . પી . એચ . વાટલીયા  ) : પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી , કામધેનુ યુનિવર્સિટી , કર્મયોગી ભવન , બ્લોક -૧ , ૪ થો માળ , વીંગ - બી ૧ , સેક્ટર - ૧૦ - એ , ગાંધીનગર -૩૮૨૦૧૦

Comments

Popular posts from this blog

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ