પશુપાલન
પશુપાલકોને મૂંઝવતા પશુપ્રજનનલક્ષી પ્રશ્નો અને તેનું નિરાકરણ
પ્રશ્ન -૧ ગાય / ભેંસ ગરમીમાં આવે છે કે કેમ તે ખબર નથી પડતી ?
જવાબ :ગાયની સરખામણીએ ભેંસમાં ગરમીના ચિન્હો બહુ ઓછા દેખાય છે જો ગરમી વિષે ખ્યાલ ના આવે તો ડોક્ટરની સલાહ લેવી .આવશ્યક છે અને જો ડોક્ટર હાજર ન હોય તો તારીખ નોંધી લેવી અને ફરીથી ૧૯ થી ૨૨ દિવસે લક્ષણો જોવા જેવાકે તેલની ધાર જેવી લાળી કરવી , ભાંભરવું ,બરાડવું , વારંવાર પેશાબ કરવો , યોનીનો ભાગ લાલાશ પડતો દેખાય , પશુ ડબકાય તો બીજદાન કરવું હિતાવહ છે .
પ્રશ્ન -૨ ગાય / ભેંસ ગરમીમાં આવે પછી ક્યારે ગાભણ કરાવીએ ?
જવાબ: ગાય / ભેંસ ૧૮ થી ૨૧ દિવસના અંતરાળ ગરમીમાં આવે છે અને ૨૪ કલાક સુધી ગરમીમાં રહે છે . ગાય / ભેંસને ગરમીના છેલ્લા ૧૨ કલાકમાં ગમે ત્યારે બીજદાન કરાવી શકો છો . એટલે ફે તમે સાંજે ગરમીના ચિન્હો જોયા હોય તો વહેલી સવારે બીજદાન કરાવો અને સવારે ગરમીના લક્ષણો નિહાળ્યા હોય તો સાંજે બીજદાના કરાવી શકો છો . એવીજરીતે ૧૨ કલાકની અંતરાળે બે વાર બીજદાન કરાવવું લાભદાયી છે .
પ્રશ્ન -૩ ગાય / ભેંસને ફેળવ્યા પછી શું કાળજી રાખવી પડે ?
જવાબ: ગાય / ભેંસને બીજદાન કાર્ય પછી વધુ દુર સુધી ચલાવવી નહિ તેમજ મારઝૂડ કે પછી દોડાવવી નહિ , ફેળવ્યા પછી ભેંસને ઠંડુ પાણી પીવડાવવું અને પંદર દિવસ સુધી ઠંડા વાતાવરણમાં ( ઠંડી જગ્યાએ ) બાંધવી . આહારમાં લીલોચારો અને દાણમાં ૪૦-૫૦ ગ્રામ મિનરલ મિચર જરૂર આપવું . બીજદાન કરાવ્યાથી ૨૦-૨૨ દિવસ દરમ્યાન પશુ ઉપર ધ્યાન રાખવું કે ગરમીમાં તો નથી આવીને અને ૨ મહિના પછી પશુ ડોક્ટર પાસે ગર્ભનિદાન કરાવવું અતિ આવશ્યક છે .
પ્રશ્ન -૪ ગાય / ભેંસ ને મેલી નથી પડી તો શું બચ્ચાને ખીરું ,કરાયું ,ચીક પીવડાવી શકાય કે નઈ ?
જવાબ ;બચ્ચાને ખીરું પીવડાવવા માટે મેલી પડવાની રાહ ન જોવી જોઈએ . ભેંસના પાછળના ભાગની હુંફાળા પાણીથી સફાઈ કર્યા પછી અડધા કલાકની અંદર બચ્ચાને તેના વજનના દસ ટકા ( ૧૦૦ ) પ્રમાણે ખીરું ૩ થી ૪ ભાગમાં વહેંચીને પીવડાવવું જોઈએ , ખીરામાં એવા તત્વો રહેલા છે જે બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે . અને તેની સૌથી વધુ અસર ૩૦ મિનિટની અંદર જ હોય છે . બચ્ચાને દૂધ પીવડાવવાથી એવા અંતઃસ્ત્રાવો પેદા થાય છે જે મેલી પડવામાં મદદરૂપ થાય છે .
પ્રશ્ન -૫ ભેંસ / ગાયમાં વિયાણ બાદ કેટલા સમયમાં મેલી પડવી જોઈએ ?
જવાબ: સામાન્ય રીતે વિયાણના ૨-૬ કલાકની અંદર મેલી પડી જતી હોય છે . પરંતુ જો ૧૨ કલાક સુધીમાં મેલી ન પડે તો આ પરિસ્થિતિમાં ૨૪ કલાક ની અંદર મેલી કાઢવા માટે પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ .
પ્રશ્ન -૬ ગાય / ભેંસમાં વેતરમાઆવ્યાના ચિહ્નોક્યા - ક્યા છે ?
જવાબ: વેતરમાં આવેલી ગાય / ભેંસ શાંતિથી ઉભી હોય જેથી બીજા પશુ તેના પર ઠેકી શકે , વેતરમાં આવેલ ગાય / ભેંસ લગભગ એકબીજા સાથે ભેગા ઉભા રહેલા જોવા મળે છે . વેતરમાં આવેલ ગાય / ભેંસ અશાંત જોવા મળે , અન્ય પશુઓ જયારે બેઠા હોય ત્યારે વેતરમાં આવેલ પશુ ઉભું જ હોય , ચરાવવા માટે લઇ જઈએ ત્યારે પ્રતિકુળ સંજોગોમાં હોય તેમ વર્તે , યોનિમાર્ગ સુજેલો જોવા મળે , દુધમાં ડબકાઈ જાય , ભાંભરે , વેતરમાં આવેલ પશુ બીજા પશુની યોનીના ભાગે સુંઘે અથવા બીજા પશુનાં પૂંઠની ભાગે મોટું રાખી ઉભું રહે , પૂંછડી વારંવાર વીંઝયા કરે તથા વારંવાર પેશાબ કરેછે.
પ્રશ્ન -૭ એકંદરે ઉનાળામાં ભેંસ વેતરમાં આવતી નથી શા કારણે ?
જવાબ :ઉનાળામાં ગરમ આબોહવા , પ્રકાશના વધારે કલાકો , ઊંચું ઉષ્ણતામાન અને સુકા વાતાવરણ જેવા કારણોની અસર ભેંસોના આહાર લેવા પર પડે છે . તેની સીધી અસર પશુઓના વેતર પર જણાય છે . ઉનાળામાં ઋતુચકનો સમયગાળો લાંબો ( ૨૨-૨૪ દિવસ ) , ઋતુકાળનો ગાળો ઓછો ( ૧૬-૧૮ કલાક ) અને તેની તીવ્રતા ઓછી જોવા મળે છે . આના કારણે ભેંસ ક્યારે વેતરમાં આવી તે ખ્યાલ આવતો નથી .
પ્રશ્ન -૮ ગાય / ભેંસો વારંવાર ઉથલા મારે છે તો શું કરવું ?
જવાબ: વેતરે આવેલ ગાય / ભેંસોને ત્રણ કે ચાર વાર ફેળવ્યા છતાં જો તે ગાભણ ન થાય તો તેને ઉથલા મારતી ભેંસ કહેવાય , ઉથલા મારવાના કારણોમાં અંડકોષનું ફલિનીકરણ ન થવું , અથવા તો ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ ગર્ભનું મૃત્યુ થવું મુખ્ય છે . આ ઉપરાંત વિર્યદાન કરવા માટેનો અયોગ્ય સમય કે ખોટી રીતે થતું બીજદાન પણ કારણભૂત ગણી શકાય . પ્રજનનતંત્રમાં જીવાણુંઓના ચેપ લાગવાથી પણ ભેંસોમાં ગર્ભાવસ્થા ધારણ થતી નથી .
પ્રશ્ન -૯ ઉનાળામાં ભેંસોની પ્રજનન ક્ષમતા જાળવી રાખવા શું શું કરવું જોઈએ ?
જવાબ . પશુને ઠંડી જગ્યાએ બાંધવા જોઈએ . પશુને પીવા માટે પાણી છૂટથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ . દિવસ દરમ્યાન ભેંસોને ચરાવવા લઇ જવી નહિ . પશુ રહેઠાણની આસપાસ વૃક્ષો વાવી પાણીનો છંટકાવ કરવો , ઉનાળામાં ભેંસોને સવાર અને સાંજના ઠંડા સમયે આહાર આપવો . લીલો ઘાસચારો વધુ અને પોષણયુક્ત આહાર આપવો જેથી ઋતુચક્ર અને ઋતુકાળ નિયમિત જળવાઈ રહે . રહેઠાણમાં પંખા , પાણીના ફુવારા અથવા કુલિંગ સિસ્ટમ ની વ્યવસ્થા કરવી .
(ડો . એમ . બી . રાજપૂત ડો . પી . એચ . વાટલીયા ) : પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી , કામધેનુ યુનિવર્સિટી , કર્મયોગી ભવન , બ્લોક -૧ , ૪ થો માળ , વીંગ - બી ૧ , સેક્ટર - ૧૦ - એ , ગાંધીનગર -૩૮૨૦૧૦
Comments
Post a Comment